![]() |
શ્રી અશ્વિની ભટ્ટ |
જ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ. ઓછામાં ઓછા એકાદ હજાર પુસ્તકો ગમતા હશે અને તેની યાદી કેવી રીતે બનાવવી? પણ તે યાદીમાં સૌ પ્રથમ કયું પુસ્તક મૂકવું તેમાં મને જરાય મૂંઝવણ નથી થતી. અશ્વિની ભટ્ટની નવલકથા ‘ઓથાર’ હંમેશા ત્યાં પ્રથમ ક્રમે આવે છે.
પદ્યમાં ગઝલ અને ગદ્યમાં નવલકથા એ મારા પ્રિયતમ સાહિત્ય પ્રકાર છે. સુરેશ દલાલના કહ્યા મુજબ હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ એ તત્કાલીન ગુજરાતી સાહિત્યના બે લોચન સમાન નવલથાકારો છે. તેમાંય અશ્વિની ભટ્ટ તો મારા જેવા તેમના અસંખ્ય ચાહકો માટે આરાધ્ય હશે. શેખાદમ આબુવાલાએ એક વખત કહ્યું હતું ‘અશ્વિની ભટ્ટ એ લોખંડી વાચકોનો લેખક છે અને એ પણ એક ગજબનો યોગાનુયોગ છે કે તેની લેખનીમાં ભારોભાર ચુંબકત્વ ભર્યું છે.’ ખરી વાત છે. હું તો એ ચુંબકત્વથી અસંખ્યવાર આકર્ષાયો છું અને તેમના પુસ્તકોનું કેટલીયવાર પુનર્વાચન કર્યું છે.
![]() |
નવલકથાનું મુખપૃષ્ઠ |
તેમની નવલકથાઓની યાદી જોઈએ તો બહુ લાંબી નથી, પણ તેમાંની ઘણી નવલકથાઓ બહુ લાંબી છે. ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’, ‘નીરજા ભાર્ગવ’, ‘આશકા માંડલ’, ‘ફાંસલો’, ‘અંગાર’, ‘ઓથાર’, ‘આખેટ’, ‘કટિબંધ’, ‘આયનો’, ‘ધ ગેઈમ ઈઝ અપ’, ‘કસબ’, ‘કરામત’ અને ‘કમઠાણ’ તેમની નવલકથાઓ છે. આ ઉપરાંત ‘ફ્રીડમ એટ મીડનાઈટ’નો ગુજરાતી અનુવાદ, ‘રમણ-ભમણ’ નામક નાટક અને ગોધરાકાંડ પછીના ગુજરાતની એક ‘તળ-અમદાવાદી’ હોવાના નાતે સાચી માહિતી આપતું પુસ્તક ‘આકાંક્ષા અને આક્રોશ’ પણ તેમના ઉપલબ્ધ પુસ્તકોની યાદીમાં છે. અને તેમણે ૮૦થી પણ વધુ પુસ્તકો નો અનુવાદ કર્યો છે જે હાલમાં સંગ્રાહકો પાસે જ હશે. (મારી પાસે તેમણે એલિસ્ટર મેકલીનના ‘સી વીચ’નો જે અનુવાદ કર્યો હતો તે એક પૉકેટ-બુકના સ્વરૂપમાં હાજર છે.) નવલકથાઓનું લંબાણ નહિ પણ વિસ્તાર પણ ખૂબ છે અને આટલા દળદાર પુસ્તકો હોવા છતાં વાંચકો તેને વાંચતા ક્યારેય થાકતા નથી એ તેમની ઉપલબ્ધિ છે.
‘ઓથાર’ પહેલી વાર મે ૧૯૯૭માં વાંચી હતી અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૨૫ વાર તો વાંચી જ હશે. તે મને ગમવાના ઘણા કારણો હશે પણ અશ્વિનીજીને ગમાડવા માટે તો આ એક જ પુસ્તક પૂરતું છે.
આઝાદીના ૬ દસક બાદ આપણે ભારતને પ્રગતિના પંથે અગ્રેસર જોઈને રાજીપો અનુભવીએ છીએ અને સાથે-સાથે મનમાં એક વસવસો પણ ઊભરી આવે છે કે જો ઈ.સ. ૧૮૫૭ નો બળવો સફળ રહ્યો હોત તો અત્યારે ભારત ક્યાં પહોચ્યું હોત! આ વસવસાને અશ્વિનીજીએ ‘ઓથાર’ના પાત્રોમાં જીવંત કર્યો છે અને પ્રસ્તાવનામાં ડો. કાન્તિ રામીએ કહ્યું છે કે ‘લોકો પોતાની યાતનાઓને જેટલી ઉત્કટતાથી યાદ રાખે છે, એથી વિશેષ એમને બીજું કશુંયે યાદ રહેતું નથી.’ આપણામાં પણ ક્યાંક ને ક્યાંક એ વસવસો અને એ યાતનાઓ છુપાયેલી છે અને માટે જ જ્યારે તેને કોઈ પાત્રમાં સજીવન થતી જોઈ, ત્યારે અચાનક જ કથાનો નાયક સેજલસિંહ મને મારા મિત્ર જેવો લાગવા માંડ્યો. જોકે, આ ઈતિહાસના વર્ણનથી ભરપૂર પણ બગાસા ખવડાવતી નવલકથા નથી. ઈતિહાસ અહિ એક પશ્ચાદભૂમિ તરીકે છે અને વાર્તા તેના દ્વારા આગળ ધપતી નથી. ક્યાંક અને કવચિત ઈતિહાસનો ઉલ્લેખ થાય છે પણ એવી રીતે નહિ કે તે કથાના પ્રવાહને અવરોધે.
બળવાની નિષ્ફળતાનો ઓથાર, નાયક સેજલસિંહનો તેના પિતા વિષેના અજ્ઞાનનો ઓથાર તથા સેના અને ગ્રેઈસ વચ્ચેની વિકટ પસંદગીનો ઓથાર- એમ નવલકથામાં ઓથાર ત્રિસ્તરીય પરિમાણ ધરે છે અને શિર્ષકને સાર્થક કરે છે. આટલા વિશાળ ફ્લક પર આલેખાયેલી નવલકથામાં ‘મેટર’ અને ‘મેનર’ એમ બંને જગ્યાએ અશ્વિનીજીએ અચૂક નિશાન સાધ્યા છે. આ ઉપરાંત ખાધું-પીધું ને રાજ કર્યું વાળો નહિ પણ એક વાસ્તવિક અંત આપવામાં પણ તેમણે કમાલ કરી છે. નવલકથાના છેલ્લા પચાસેક પાના અતિ વેદનામય છે તેમ છતાં કથામાં ક્યાંય નાનકડું છિદ્ર પણ ન રહી જાય તેના માટે અશ્વિનીજીએ તેનો બખૂબી ઉપયોગ કર્યો છે.
વાર્તા હંમેશા પાત્રો દ્વારા આગળ વધે છે અને નબળું પાત્રાલેખન કોઈ પણ રીતે આ ધસમસતા કથા પ્રવાહને ઝીલી શક્યું ન હોત પણ વાર્તારસની ભાગીરથીને માટે તેમણે પાત્રો પણ ઉત્કૃષ્ટ રીતે સર્જ્યા છે. આપણને તે લેખકની કલ્પનાના ખોખલા હાડપિંજર લાગતા નથી પણ આપણે તેમને બંધ આંખે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને તેમને કથાના એક પાત્રની જેમ જ ચાહી કે ધિક્કારી શકીએ છીએ. કથા નાયક તો નિઃશંક સેજલસિહ જ છે પણ કથામાં આવતી ત્રણ મુખ્ય સ્ત્રીઓના પાત્રાલેખનમાં પણ લેખક શ્રી એ એટલી સફળતા મેળવી છે કે વાંચકને એ નિર્ણય કરવામાં મુશ્કેલી થઈ પડે કે ખરેખર નાયિકા કોણ છે? રાજેશ્વરીદેવીની કુશળતા અને ધ્યેયનિષ્ઠા, સેના બારનીશની મોહકતા અને અલ્લડપણું તથા ગ્રેઈસ કેમ્પબેલનું આત્મસમર્પણ અને પ્રેમાતુરતા બહુ જ ઉત્કૃષ્ટ રીતે નિરૂપાયા છે. તેમાંય રાજેશ્વરીદેવી જેવું એક જાજરમાન નારી પાત્ર ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ મળશે. પાત્રાલેખનની ખૂબી એ છે કે સેજલસિહ, સેના બારનીશ, રાજેશ્વરીદેવી, ગ્રેઈસ કેમ્પબેલ, બાલીરામજી, ભુવનસિંહ, સંતોજી બારનીશ, આજો, ખેરા, ભવાનીસિહ, કર્નલ મેલેટ, જીના પોવેલ, જેક મેકગ્રેગર કે સર પોવેલ જેવા મહત્વના પાત્રો જેટલા બારીકાઈથી આલેખાયા તેટલા જ ખંતપૂર્વક કથામાં આવતા ધાનોજી, સૂબેદાર ખંડેરાવ, જેડો રાઉટીયો, જેલર જો ગિબ્સન, રામસતીયો, રામચરણ અને રામશરણ જેવા દ્વિતીય કક્ષાના પાત્રો પણ આલેખાયા છે. કથાકાળની શરૂઆત પહેલા મૃત્યું પામનાર સેજલસિહના પિતા વિક્રમસિહ, આયા કન્ની, ફાંસીએ ચડાવેલ રાણોજી અને તુરક ને તોકલ નામના ઘોડા પણ આપણી સામે જીવંત થઈ જાય છે, તે કંઈ નાનીસૂની સિદ્ધિની વાત નથી.
પાત્રાલેખનની સાથે-સાથે પ્રસંગોનું આલેખન પણ બખૂબી અને ઝીણવટથી કરવામાં આવ્યું છે. સેજલસિહે સેના બારનીશનું કરેલું પ્રથમ દર્શન, પીંઢારી મીરખાનનો અંગેજ ટુકડી પરનો હલ્લો, જેલમાં જો ગિબ્સન સાથેની લડાઈ, સેજલસિહની ઇન્કવાયરી અને જેકે સર્જેલું ફારસ, રાજા ગોવિંદદાસની કોઠી પર કર્નલ મેલેટે કરેલો હુમલો, ખેરાસિહનુ જાનોર પર આક્રમણ અને આગમાંથી બચવાના સેજલસિહના પ્રયત્નો ખૂબ નજાકતથી અને કુશળતાપૂર્વક આલેખન પામ્યા છે.
પાત્રો અને પ્રસંગો ઉપરાંત એ સમયનો સમાજ અને વિવિધ સ્થળો અને ઈમારતો પણ નજર સામે તાદ્રશ્ય કરવામાં લેખકે પોતાના પ્રાણ રેડ્યા છે. આ નવલકથા વાંચ્યા પછી કોઈ કહી શકે નહિ કે જાનોર એક કલ્પિત રજવાડું હશે. ગોલકી મઠ અને ભેડાઘાટનું પણ સવિસ્તર અને રોચક વર્ણન છે. જાનોરનો રાજ મહેલ કે કેન્ટનું તો કોઈ સ્થપતિની કુશળતાથી આલેખન કરવામાં આવ્યું છે.
લેખકે પ્રસંગની જરૂરિયાત મુજબ ક્યારેક તદ્દન અંગ્રેજી તો ક્યારેક સાવ તળપદા શબ્દો વાપર્યા છે પણ દરેક વખતે સંવાદ ચોટદાર, પ્રસંગ માણવાલાયક અને સ્થળને જાણવાલાયક બનાવ્યા છે. મારા કેટલાક મિત્રો આ નવલકથા વાંચ્યા પછી ભેડાઘાટની મુલાકાત લેવા પ્રેરાયા હતા.
છેલ્લે ડો. કાન્તિ રામીના શબ્દોને આપની સમક્ષ મૂક્યા વિના નથી રહી શકતો કારણ કે હું પણે એ વાત સાથે મક્કમતાથી સહમત છું – ‘રાષ્ટ્રભાષા હિન્દી કે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં જો આ કથા આલેખાઈ હોત તો કથાને જંગી આવકાર અને લેખકને દિગંતવ્યાપી યશ મળ્યા હોત તે નિઃશંક છે.’
બ્લોગજગતમાં અશ્વિની ભટ્ટ અને તેમના પુસ્તકો વિષેના લેખોની લિંક્સઃ
”ઓથાર” વિષે તમે સરસ લખ્યું છે. જોકે મને ”આશકા માંડલ” પ્રિય છે. તેનું કારણ કદાચ એ હોઇ શકે કે આ નવલકથા લખાતી હતી એ દિવસોમાં અશ્વિનીભાઇને અવારનવાર મળવાનું થતું હતું. એ દિવસોમાં પ્રેમાભાઇ હોલના તેઓ મેનેજર હતા ત્યારે તેમની ઓફિસે રોજ સાંજે બેઠકો જામતી. તમે એ જૂના દિવસો યાદ કરાવી દીધા.
ReplyDeleteવાહ. નસીબદાર છો, તમે.
Deleteખરેખર સરસ પોસ્ટ. તમારી આ વાત ઘણી જ ગમી - " તેમની નવલકથાઓની યાદી જોઈએ તો બહુ લાંબી નથી, પણ તેમાંની ઘણી નવલકથાઓ બહુ લાંબી છે."
ReplyDeleteમળતા રહીશું.
આભાર રજનીભાઈ.
Deleteમારા પ્રિય નવલકથાલેખક વિશેની મજાની પોસ્ટ.
ReplyDeleteજો કે મને તેમની 'આખેટ' વધારે ગમે છે!
આભાર વિનયભાઈ. મને પણ 'આખેટ' ગમે જ છે.
DeleteAswini bhattji pachhi purnviram jaane!:)
ReplyDeleteસાચ્ચે જ પૂર્ણવિરામ બ્રિન્દાજી.
Deleteblog is also nicely arrange:)
ReplyDeleteઆભાર.
Deleteશિરમોર નવલકથાકાર...
ReplyDeleteનિઃશંક, લલિતભાઈ.
DeleteHi. This is the first time I happened to visit your blog and I just loved it. Beautiful post on Ashwini Bhatt.
ReplyDeleteThanks Shishirbhai.
Deleteothar is really impressive, it seems all charecters are in front of our eues when we read it. it is so engaging and elaborative and so heart touching. i love it especially charector of Sena Barnish and Rajeshwari devi are matchless.
ReplyDeletethanks for such an impressive novel. my heartiest regards to Ashwini Bhatt
Thanks.
Deleteઅંગાર અને ઓથાર ની ધારાવાહિકના હપ્તાનો ગુજરાત સમાચારમાં અતુરતાથી રાહ જોતો હતો; તે યાદ આવી ગયું.
ReplyDeleteહવે તેમનો પરિચય બનાવવાની સામગ્રી લાવી દો તો બહુ જ આભારી થઈશ. આ બ્લોગ માટે -
http://sureshbjani.wordpress.com/index_a_jh/
એ દિશામાં ચોક્કસ પ્રયત્ન કરીશું. આભાર.
Deletekhub saras chiragbhai.. Ashwini bhatt ni naval katha vishe saral sabdo ma ghanu badhu
ReplyDeleteઆભાર.
Deleteઓથાર... એક અદ્દભૂત નવલકથા...1857નો બળવો અને તેના પછીનો પારાવાર હતાશામાં ડૂબી ગયેલી પ્રજામાં ,દેશને આઝાદ કરવાનો સંકલ્પ સાકાર થાય ,એ માટે ઝ્ઝુમતા પાત્રોની આ કહાની છે 1857ના વિપ્લવ પછીનો ઇતિહાસ જાણવા માટેનો એક ઐતિહાસિક દસ્તાવેજ સમી છે... શ્રી અશ્વીની ભટ્ટની ઓથાર...
ReplyDeleteએકદમ સાચી વાત. આભાર.
ReplyDeleteDear Chiragbhai...I am late in acknowledging your blog about Late Shri Ashwini Bhatt...We knew him through our immediate relatives...Like many others, me and my whole family is fan of him and love his novels...I am having two daughters namely Shailja and Aashka...Names were not based on "Rashi" but on novels...On my elder daughter Shailja's marriage, we gifted her full set of novels of Shri Ashwini Bhatt...This way he lives well within our heart and our memories...He is still around us through his superb literary work...
ReplyDeleteઆભાર. આપનું નામ જાણવું ગમશે. અને અશ્વિનીદાદા સાથેની આપની સ્મૃતિઓ પણ સાંભળવી ગમશે.
DeleteSorry for my late response...Well...My name is Ketan Pathak...By name, very less people know me...Few years ago, I had been to one social event where Shri Ashwini Bhatt had also come...My mother and sister of Shri Ashwini Bhatt were close friends...It was for the first time I was seeing Shri Ashwini Bhatt, a person to whom we had read with high regards and enjoyed a lot...From little distance, I saw him chatting with my parents and my wife but I could not met him as I was speechless and paralysed but was enjoying their conversation...A person to whom you wished to see and that one is just in front of you makes you embarrassed...On another occasion, my wife visited their home and it was felt that she was visiting a temple...Life sees some events which are just to remember rather than to narrate...Now only sweet memories of Late Shri Ashwini Bhatt reminds us he is still around through his work...We pay homage to Shri Ashwini Bhatt...
ReplyDeleteઆભાર. અને આપ દાદાને જોવા પામ્યા એ માટે હું આપને સદ્ભાગી માનું છું.
Deleteપાંચ-છ વખત ઓથાર વાંચી, દર વર્ષે એકાદવાર ઓથાર વાંચવાની તીવ્ર ઇચ્છા થઇ આવે અને વાંચી નાખું. સેજલિસંહ કરતાં મને બાલીરામજીનું પાત્ર વધારે ગમે...
ReplyDeleteઆભાર મિત્ર.
Deleteમારી પ્રિય નોવેલ ફાંસલો છે.
Deleteમારી પ્રિય નોવેલ ફાંસલો છે.
Deleteઆભાર મિત્ર. 'ફાંસલો' નવલકથા પર પાંચ પોસ્ટ કરેલી છે. એ પણ વાંચવા વિનંતી.
Deleteઓથારમાં બધા જ રસ આવી જાય છે,
ReplyDeleteસેજલ બળી જાય છે ને પોતે સાજો થયા બાદ રાજમહેલમાં આવે છે, કેવી કરુણ સ્થિતિ હશે કે એને સગી મા પણ નથી ઓળખતી પણ "તુરક" એક પશુને બલીરામજી ઓળખી જાય છે,
પોતે રાજવી માંથી ભિક્ષુક બને છે કરુણ!!!.....
એ પરિસ્થિતિમાં અદ્ભુત કરુણરસ છે. આભાર મિત્ર.
Deleteતમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્લોગ લખવાની શરૂઆત કરી છે . આ મારી બ્લોગ નિ લિંક છે.
ReplyDeleteઆભાર મિત્ર. તમારા બ્લોગની મુલાકાત અવશ્ય લઈશ.
Delete