 |
શ્રી અશ્વિની ભટ્ટ |
શ્રી અશ્વિની ભટ્ટ સાથે એક સાંજ માં શ્રી ઉર્વીશ કોઠારીએ નોંધ્યું છે કે અશ્વિની ભટ્ટ તેમની અમુક નવલકથાઓને નવલકથા ન ગણતાં માત્ર ‘સ્ટોરીટેલિંગ’ ગણે છે. ઉર્વીશ કોઠારીના જ શબ્દોમાં, ‘પોતાની નવલકથાઓમાંથી બે-ત્રણ સિવાયની બાકીની કથાઓને તેમણે ‘સ્ટોરીટેલિંગ’ તરીકે ઓળખાવી. સાહિત્યિક માપદંડ પ્રમાણે એવા હવાચુસ્ત વિભાગો પડાય એમ નથી, છતાં તેમને લાગે છે કે ‘ઓથાર’, ‘અંગાર’, ‘આશકા માંડલ’ ખરા અર્થમાં નવલકથા છે. કારણ કે તેમાં સ્ટોરીટેલિંગ ઉપરાંત મુખ્ય પાત્રોના માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન છે.’ એજ માપદંડ મુજબ આપણે ‘આખેટ’, ‘ફાંસલો’ અને ‘કટિબંધ’ ને પણ નવલકથા ગણી શકીએ. અશ્વિની ભટ્ટની ‘કસબ’, ‘કરામત’, ‘કમઠાણ’ અને ‘આયનો’ લઘુનવલ ગણી શકાય. ‘લજ્જા સન્યાલ’, ‘શૈલજા સાગર’ અને ‘નીરજા ભાર્ગવ’ ને અશ્વિની ભટ્ટ ‘સ્ટોરીટેલિંગ’ ગણે છે.
આમ જોવા જઈએ તો કોઈ પણ કથાનું હાર્દ તેની વાર્તા જ હોય છે અને વાચકને એ કથા જ જકડી રાખે છે. જો લેખકે રોચક, ત્રિપરિમાણિય પાત્રો સર્જ્યાં હોય પણ કથાવસ્તુ નબળી હોય, તો તે કથા રસપ્રદ બનતી નથી. પણ બીજી બાજુ, ‘પાત્રોના માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન’ કર્યા વિના પણ એક રોચક વાર્તા રજૂ થઈ હોય, તો તે નિઃશંક કોઈ પણ વાચકને ગમશે જ. માટે અશ્વિની ભટ્ટનું પુસ્તક નવલકથા હોય કે ‘સ્ટોરીટેલિંગ’, વાચક તો તેને આવકારશે જ.
 |
નવલકથા 'નીરજા ભાર્ગવ' |
તેમની નવલકથા કે સ્ટોરીટેલિંગ ‘નીરજા ભાર્ગવ’ને માત્ર એક જ વાક્યમાં વ્યક્ત કરવી હોય, તો કહી શકાય કે ‘નીરજા ભાર્ગવ’ એટલે ચરબી વગરની, ચુસ્ત, ચસચસતી નવલકથા. રાજગઢ નામના એક નાનકડા રેલ્વે સ્ટેશનથી શરૂ થતી આ કથા નેક-બ્રેક સ્પીડ થી કહેવાઈ છે અને પાત્રોના માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન નથી, તેમ છતાં પણ પાત્રો રસપ્રદ રીતે આલેખાયા છે. અને પાત્રોના માનસપ્રવાહોની સાવ અવગણના પણ નથી કરવામાં આવી. જ્યાં-જ્યાં જરૂર છે, ત્યાં-ત્યાં એ રજૂ પણ કરવામાં આવ્યાં છે.
જેમ કે કથાનો નાયક એસ. એમ. બાલી સાવ જ અજાણી છોકરી નીરજાને જીવના જોખમે મદદ કરવા કેમ તૈયાર થાય છે, એ પ્રશ્નનો જવાબ બાલીના માનસપ્રવાહોમાંથી જ જાણવા મળે છે. પહેલી નજરે બાલી નાયિકા નીરજા ભાર્ગવના રૂપથી અંજાઈ જાય છે. ‘પણ એ છોકરીનું રૂપ મને અજ્ઞાત રીતે સ્પર્શી ગયું હતું. સાચું પૂછો તો, એ જો કદરૂપી હોત તો મેં તેને પોલીસને હવાલે કરી હોત.’ (પેજ ૨૦) રૂપથી અંજાઈ ગયા છતાં મદદ કરવી કે નહી તેવા કોઈ નિર્ણય પર નાયક પહોંચે તે પહેલા જ પોલીસ આવી પહોંચે છે અને એ અનિશ્ચિત દશામાં જ અજ્ઞાત પણે નીરજાના રૂપથી નાયક પ્રેરાય છે. ‘પોલીસને તેની હાજરી કે મડદાની વાત ન કહી શકવામાં મહદ અંશે મારી અનિર્ણયાત્મકતા જવાબદાર હતી.’ (પેજ ૨૧) છેવટે તર્ક લડાવીને જોખમ લેવાની તૈયારી સાથે બાલી નાયિકા નીરજાને મદદ કરવા તૈયાર થાય છે. ‘તે સાચું બોલતી હશે? મને ફસાવતી હશે? ગમે તેમ અત્યારે મને તેને બને તેટલી મદદ કરવાનું મન થઈ આવ્યું.’ (પેજ ૨૫) આમ પાત્રના ‘માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન’ નથી છતાં તેની સાવ અવગણના પણ નથી કરવામાં આવી.
અશ્વિની ભટ્ટની આ નવલકથા વર્ણનાત્મકથી વધારે ઘટનાત્મક છે અને ‘નેક બ્રેક સ્પીડ’ થી એ ઘટનાઓ એક પછી એક બનતી જાય છે અને વાચક એક પછી એક પાના ફેરવતો ક્યારે વાર્તાના અંત સુધી પહોંચી જાય છે, તે ખબર પણ નથી પડતી. માટે પાત્રાલેખનની તક બહુ રહેતી નથી, તેમ છતાં અશ્વિની ભટ્ટે વાસ્તવિક પાત્રસૃષ્ટિનું સર્જન કર્યું છે. નાયક એસ. એમ. ચેતન બાલી, નાયિકા નીરજા ભાર્ગવ, ઇન્સ્પેક્ટર જયસ્વાલ, ઇન્ટરપોલ એજન્ટ વિક્રમ બેલાની, ડૉ. જયસ્વાલ, જાનુ હૈદર, પૉલ બેડા, ડૉકટર ભાર્ગવ, ડૉકટર માલુ, ટોડર, ક્રિસ્ટિયાના સુબ્રાતો, રાજગઢ સ્ટેશનનો સ્ટાફ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ડોગ સ્ક્વોડ અને ડો. માલુના રિસર્ચ સેન્ટરનો સ્ટાફ એમ ઘણા બધા પાત્રો લેખકે આ નાનકડી નવલકથામાં ઉપસાવી આપ્યા છે.
રાજગઢ રેલ્વે સ્ટેશનથી આગળ વધીને કથા નજરબાગ નામક ખંડેરમાં પહોંચે છે અને ત્યાંથી છેવટે ડૉકટર માલુના રિસર્ચ સેન્ટરમાં અંત પામે છે. એ ત્રણેય જગ્યાઓ અશ્વિની ભટ્ટની આગવી શૈલી મુજબ સુંદર રીતે ચિત્રિત થઈ છે. વચ્ચે-વચ્ચે નિરજાના જીવનના ફ્લેશબેક આવતાં રહે છે અને તેની રજૂઆત ખૂબ ચતુરાઈપૂર્વક એવી રીતે થઈ છે કે જેથી વાચકનો રસ જળવાઈ રહે અને કથાનક સમયના એક બિંદુ પર થંભી ગયું છે, તેમ ન લાગે. ડૉકટર માલુની અંડરગ્રાઉન્ડ લેબોરેટરીમાં જે છેલ્લી લડાઈ થાય છે, તે પણ રોચક રીતે અને ખૂબ ઝીણવટથી આલેખવામાં આવી છે. એ લડાઈ દરમિયાન પાત્રોની ગણતરીઓ ચોક્સાઈથી રજૂ થઈ છે, જે ફરી એકવાર પાત્રોના માનસપ્રવાહનું આલેખન છે. વાર્તાના અંતમાં જે ખુલાસા થયા છે, તે નિરજા દ્વારા વધારે સારી રીતે થઈ શક્યા હોત, પરંતું પ્રથમ પુરુષ એક વચનની કથનરીતિથી લખાયેલી નવલકથામાં એ શક્ય ન બનતા, તેને બાલીના મુખે જ રજૂ કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડની કામગીરી અને બાલીની પિન્શર કૂતરા સાથેની લડાઈ પણ યાદ રહી જાય તેવા દ્રશ્યો છે. (‘ફાંસલો’ નવલકથામાં ચંદન નામેચાની પોલીસ ડોગ સાથેની લડાઈની યાદ આ નવલકથા અપાવી દે છે.)
(રેફરેન્સ માટે નવલકથાના ૨૦૦૯ ના પુનર્મુદ્રણનો ઉપયોગ કરેલ છે.)